मन्त्रमूला: सर्वारम्भा: || ૨૨ ||
બધા મહત્વના આરંભો મંત્રણા કર્યા પછી જ કરવા જોઈએ.

રાજવહીવટને બે ભાગમાં વહેંચી શકાય:
૧. સામાન્ય રોજિંદો વહીવટ, જેને તે-તે વિભાગના અધિકારીઓ પોતાના વિવેક પ્રમાણે કરતા હોય છે. ૨. અસામાન્ય કાર્યો રાજાએ પોતે કરવાનાં હોય છે. અસામાન્ય કાર્યો પણ જો મંત્રીઓ કે અધિકારીઓને સોંપી દેવામાં આવે તો રાજ્યમાં નોકરશાહી ચાલુ થઇ જશે. એટલે રાજાએ પ્રતિદિન પૂરતો સમય કાઢીને અસાધારણ નિર્ણયો તથા કાર્યો કરવાં જોઈએ. રજવાડાં અને પેઢીઓનો ઉચ્છેદ ત્યારે થતો હોય કે જ્યારે રાજા કે શેઠ વ્યસની-વિલાસી-આળસુ-પ્રમાદી થઇ જતા હોય છે. એટલે રાજાને જિતેન્દ્રિય રાજર્ષિ કહ્યો છે. નિશ્ચિત સમયે તે-તે વિભાગના મંત્રીઓને તથા પ્રધાનમંત્રીને ફાઈલો સાથે બોલાવીને પૂરતી મંત્રણાકરીને રાજાએ જે-તે નિર્ણયો લેવા જોઈએ, એટલું જ નહિ, આવા નિર્ણયો ક્રિયાન્વિત થયા કે નહિ તેની પણ તકેદારી રાખવી જોઈએ.