સ્મશાન યાત્રા – અમદાવાદ નીલકંઠ મહાદેવમાં આશીર્વાદ મેડીકલ ટ્રસ્ટ દ્વારા આયોજિત સભામાં પ્રવચન

Side A –
– પાંચ યાત્રાઓ યાદ રાખો – જીવન યાત્રા, ઉદર યાત્રા, જ્ઞાન યાત્રા, વિજ્ઞાન યાત્રા અને સ્મશાન યાત્રા. જીવન સ્વયં એક યાત્રા છે. માણસ પ્રત્યેક દિવસે ડગલાં ભરતો હોય છે, કોઈ આલિશાન મહેલમાં રહીને જીવે તો કોઈ ફૂટપાથ ઉપર જીવે, કોઈ બત્રીસ પકવાનો ખાતો જીવે કે કોઈ ભૂખ્યો રહીને જીવે. એની સાથે સાથે ઉદર યાત્રા ચાલતી હોય છે. માણસ, ભૂખ લાગે ત્યારે કોઈની શરમ ન રાખે. પેટનો આટલો મોટો આવેગ ન હોત તો કદાચ જીવનજ ન હોત. જેણે જીવનનો સાક્ષાત અનુભવ કરવો હોય તો, એણે ભગવાન પાસે એવું માંગવાનું કે મને થોડા ભૂખના દિવસો આપજે જેથી ખબર પડે કે ભૂખ શું વસ્તુ છે? સાધુઓને ગાદીએ બેસાડે તે પહેલા એની પાસે બાર વર્ષ ભ્રમણ કરાવે છે, એટલે એને એમાંથી જીવનની દ્રષ્ટિ મળે, પછી જયારે ગાદી પર બેસે ત્યારે આવનારની વાત સમજી શકે. @4.45min. વિવેકાનંદે લખ્યું છે કે બચપણમાં મને ખુબ ગરીબીનો અનુભવ ન થયો હોત તો હું માનવતાવાદી ન થઇ શક્યો હોત, નહિતો આત્મવાદી થઇ ગયો હોત. અહીંયા ઘણા સાધુઓ આત્મવાદી છે અને આત્માનીજ વાતો કર્યા કરે. એ તો બધી લુખ્ખી વાતો છે, એવા આશ્રમમાં આવેલા એક દંડી સ્વામીની વાત સાંભળો. ઉદર યાત્રા બહું દુઃખદાયી છે. જેને બેકારી નથી જોઈ, ભૂખ નથી જોઈ એને જીવનની ખબરજ નથી. આશીર્વાદ ટ્રસ્ટ માનવતામાંથી થયું, આજ ખરો સાચો ધર્મ છે. કોઈ માણસ ઉદર યાત્રાએ નીકળ્યો હોય તો એને મદદ કરજો પણ ધ્રુત્કારી ન કાઢશો. @7.59min. એક જ્ઞાન યાત્રા છે. હ્યુ એન સાંગ, હાહ્યાન વગેરે જ્ઞાન માટે પહાડોના પહાડ પાર કરીને નીકળી પડ્યા. જ્ઞાનનું મૂળ અજ્ઞાન છે, અજ્ઞાન ન હોય તો જ્ઞાન પણ ન હોય. ઉદાહરણ સાંભળો. અજ્ઞાનમાંથી જ્ઞાન થાય ત્યારે બે જ્ઞાન થાય તે એક ભ્રમ જ્ઞાન અને બીજું સત્ય જ્ઞાન. ભ્રમ જ્ઞાન અજ્ઞાન કરતાં પણ ખોટું છે. અને એ જો ધર્મથી આવ્યું હોય તો એ મહાભયંકર હોય, કારણકે બીજા ભ્રમને દૂર કરી શકાય પણ ધર્મથી આવેલા ભ્રમને દૂર કરવું બહુ કઠીન છે. આખી દુનિયામાં ધર્મે જીવનની વાસ્તવિકતામાં ઘણા ભ્રમ ઉભા કર્યા છે. જીવનનું કામ પ્રશ્નોને ઉકેલવાનું છે. પ્રશ્નો ઉકેલે એનું નામ ધર્મ કહેવાય. @10.33min. એક વૃદ્ધ માણસને ધર્મ દ્વારા આવેલું અજ્ઞાનની વાત સાંભળો, જે આત્મા સિવાય કોઈ બીજી વાત ન કરે. એમને આખા શરીરે દાદર થયેલી એને પૂર્વના કર્મ સાથે શું લેવા-દેવા. વળી પાછો એવું સમજે છે કે દવા કરાવનારની આજ્ઞા કરનારને(સ્વામીજીને) એનું પાપ લાગશે. કેટલી સ્ત્રીઓને આપણે વિધવાને વિધવા મારી નાખી, કેમ? એ તો એના બાપના પાપે વિધવા થઇ છે, કારણકે પૈસાની લાલચે ડોસા સાથે પરણાવી એટલે. આ ધર્મના માધ્યમથી આવેલો ભ્રમ છે. @15.01min. અજ્ઞાનમાંથી બીજા છેડાનું જ્ઞાન એ સત્ય જ્ઞાન છે, એ તરફ જવું બહું અઘરું કામ છે અને એજ સાધના છે, અને જ્ઞાનની યાત્રા છે, ઉદાહરણ સાંભળો. જ્ઞાન અને ભ્રમ એ બંને એક સાથે રહી ન શકે. જ્ઞાન કદી વિજ્ઞાન વિનાનું ન હોય. “सत्यं ज्ञानम् अनन्तम् ब्रह्म” આ પરમાત્માનું લક્ષણ છે, @20.55min. પ્રત્યેક જ્ઞાનને એક સંતાન થતું હોય છે અને એનું નામ છે વિજ્ઞાન. જો એ વિજ્ઞાન રૂપી સંતાન ન થાય તો જ્ઞાન વાંઝિયું થઇ જાય, પછી જૂનામાં જૂની વાતો કર્યા કરો. આ બધા જીવનના ક્ષેત્રોમાં તબીબી એ મહત્વનું ક્ષેત્ર છે. આયુર્વેદ આજે ભૂતકાળમાં જીવતું થઇ ગયું એ વિષે સાંભળો. માણસ જો આકાશમાં ઉડતો થઇ જાય તો પણ એને ભગવાન ન માનશો, માણસ એ માણસજ છે. “तेषा ज्ञानी नित्ययुक्त एकभक्तिर्विशिष्यते” (गीता 7-17). @25.12min. આયુર્વેદે 333 દવાઓ ઉપર પૂર્ણવિરામ મૂકી દીધું, એલોપેથી પર પૂર્ણવિરામ ન મુકાય. એલોપેથીમાં 333 તો ફક્ત એક રોગની દવા હોય, કારણકે સતત રીસર્ચ ચાલ્યા કરે. જ્ઞાનને વિજ્ઞાનમાં બદલો, વિજ્ઞાન જ્ઞાન થશે, વળી પાછું એમાંથી નવું વિજ્ઞાન, એમાંથી પાછું નવું એમ “अनन्तम् ब्रह्म” નવું નવું શોધ્યા કરવું એનું નામ તો યાત્રા છે. એટલે એક જ્ઞાનની યાત્રા છે અને એમાંથી શરુ થતી વિજ્ઞાનની યાત્રા છે. @26.55min. અહિયાં આ જે બે ટ્રષ્ટો છે, નીલકંઠ મહાદેવ અને આશીર્વાદ મેડીકલ ટ્રષ્ટ, મને આ મંદિર ગમ્યું કારણકે અહિ કોઈ સ્થાપિત હિત નથી અને હું ઈચ્છું કે ભારતના મંદિરોનું આવા મંદિરોમાં રૂપાંતર થવું જોઈએ. શ્રદ્ધા તો જોઈએજ, ભગવાન તો જોઈએજ, માથું નમાવવાનું તો જોઈએજ, નહિ તો માથામાં કીડા પડશે. આ અહંકારના કીડા ખંખેરવાની જગ્યા છે. ગમે ત્યાં માથું નમાવો, બધે એકજ ભગવાન છે, એટલે આપણે ઝનૂની નથી થતા. અહી પ્રસિદ્ધ ભગવાનના પ્રતીકો મૂક્યા છે, એ આપણી વિશેષતા છે. @32.20min. આ એક આદર્શ મંદિર છે, એની આદર્શતા એ છે કે એની બધી આવક માનવતાના કામમાં વપરાય છે. આ બધા ખેલ કાર્યકર્તાઓના છે. જોઈતારામ મારી કેસેટો, લોકોને સંભળાવવા ઢગલે બંધ લઇ જાય છે. આશીર્વાદની વ્યાખ્યા સાંભળો. આશીર્વાદ માંના હોય, બાપના હોય કે કોઈની આંતરડી ઠરે એનો આશીર્વાદ હોય. @35.24min. આ સંસ્થાના માધ્યમથી લોકોને ઓછામાં ઓછા દરે અથવા મફતમાં સેવા મળે છે. આ ડોકટરો છે એમના દર્શન કરો. શંકર દિગ્વિજયમાં લખ્યું છે કે આ ડોકટરો તો લોકો માટે વિષ્ણુ ભગવાન છે. @37.55min. એક સ્મશાન યાત્રા છે, “રામ બોલો ભાઈ રામ” જીવતા જીવતા ન બોલ્યા પણ હવે તો બોલો. હું ભલામણ કરું છું કે એકાદ સ્મશાનમાં જઈ બાકડા પર બેસી અને જ્યાં હજારો માણસોની ચિતા-દહન થયું હોય, એને જોયા કરો. આ એવી જગ્યા છે કે જ્યાં હજારો માણસો જે એક વેંત જમીન માટે ધારિયા લઈને ફરતા હતા અને એ બધા સાથે ભેગા સૂતા છે. સ્મશાન યાત્રા એ જીવનની છેલ્લી યાત્રા છે. @39.50min. પંડ્યા પરિવારના કેવા સજ્જન માણસ હશે કે એમને વીલમાં કહ્યું કે મારા પૈસામાંથી આટલા પૈસા તમે આશીર્વાદ ટ્રષ્ટને આપજો કે જેથી ત્યાં એક્ષરે મશીન આવે તો લોકોને રોગોનું નિદાન સરળ થાય. આ માણસની દ્રષ્ટિ છે, એમને જીવતા પણ આવડ્યું અને મરતા પણ આવડ્યું. એટલે પંડ્યા પરિવારને ખૂબ ખૂબ ધન્યવાદ, આર એસ પટેલ અને નીલકંઠ મહાદેવના ટ્રષ્ટીઓને પણ ધન્યવાદ. ભગવાન સૌનું ભલું કરે, મંગળ કરે, આભાર, ધન્યવાદ, હરિઓમ તત્સત. @41.47min. ભજન – રામ સમર મન રામ સમરી લે – શ્રી નારાયણ સ્વામી.