કારગીલનું યુદ્ધ – અમદાવાદ
રાજ્યમંત્રી શ્રી મહેન્દ્ર ત્રિવેદીએ ગાયેલાં ગીતોની કેસેટનું ઉદઘાટન કરતી વખતે આપેલું પ્રવચન

Side A –

– આપણે ત્યાં બે સત્યો માન્યા છે, એક ધ્રુવ સત્ય અને બીજું ચાલુ(કાલિક) સત્ય છે. ચાલુ સત્ય એટલે જે આજે હોય અને કાલે ન પણ હોય, ભારતમાં જે સત્ય હોય તે બીજા દેશમાં ન હોય. દેશ, કાળ પરિસ્થિતિ બદલાતાં જે સત્ય બદલાય તે ચાલુ સત્ય કહેવાય. કેટલાંક ધ્રુવ સત્યો છે, એમાં મૃત્યુ એ ધ્રુવ સત્ય છે. તમે કરોડ પ્રયત્નો કરો પણ મરવું એ નિશ્ચિત્ત છે. ગીતામાં લખ્યું છે કે जातस्य हि ध्रुवो…..शोचितुमर्हसि…..(गीता 2-27). એવીજ રીતે યુદ્ધ પણ ધ્રુવ સત્ય છે. તમે ઈચ્છો કે ન ઈચ્છો યુદ્ધ થયાં છે, થતાં રહે છે અને ભવિષ્યમાં થવાનાંજ છે, યુદ્ધને તમે કદી કોઈ રોકી શકો નહીં. જો આ ધ્રુવ સત્ય છે તો આપણે યુદ્ધ હાર્યા કરવું કે યુદ્ધને જીત્ય કરવું આ સાધનાનો ગંભીર વિષય છે. યુદ્ધને 15 દિવસ, મહિનો કે બે મહિના પાછું ઠેલી શકો પણ એને સદંતર અટકાવી શકાતું નથી. યુદ્ધના મુખ્ય ચાર ઘટકો છે તે રાજા(રાજનેતા), ગુપ્તચરો, લશ્કર અને ચોથું પ્રજા છે. યુદ્ધ રાજા લડતો હોય છે લશ્કર નથી લડતું, જેમ ઘોડો નથી દોડતો પણ અસવાર દોડતો હોય છે. વાજિંત્ર નથી વાગતું એને વગાડનારો વાગે છે. @4.47min. મુંબઈનો એક પ્રસિદ્ધ સંગીતકાર જયકિશનની વાત સાંભળો કે જેણે કંઈ વાજિંત્ર ન હતું પણ લોકોની આગ્રહનેને માન આપી એક હોટલમાંથી સ્ટુલ મંગાવ્યું અને વગાડ્યું તો લોકોનું ટોળું નાચવા લાગ્યું. એમ યુદ્ધ લશ્કરથી નથી થતું પણ ઓફિસમાં બેઠેલો રાજા અથવા નેતા કરતો હોય છે. બ્રિટનના પ્રાઈમ મીનીસ્ટર ચેમ્બેરલેન અને ચર્ચિલનું ઉદાહરણ સાંભળો. એમ રાજા કે નેતા મુખ્ય ઘટક છે. બીજું ઘટક ગુપ્તચરો છે. રાજાને એટલેકે નેતાને પોતાની આંખો કે કાન નથી હોતા, પણ એણે ગુપ્તચરોની આંખે અને કાને જોવા-સાંભળવાનું હોય છે. જો રાજાની આંખ મોતીયાવાળી હોય તો કોઈ દિવસ રાષ્ટ્રનું ઉત્થાન ન થઇ શકે. ઇઝરાઈલ એના ગુપ્તચરોની માહિતી દ્વારા એની ફરતેના સોળ દુશ્મનોને ગાંઠતું નથી અને સજ્જડ ફટકા મારે છે. ત્રીજું ઘટક લશ્કર છે. વિશ્વામિત્રે ધનુર્વેદની રચના કરી છે અને એમાં લખ્યું છે કે તમે તમારા દુશ્મન કરતાં ડબલ લશ્કર અને ચઢિયાતાં શસ્ત્રો રાખો અને સેનાપતિઓ પેદા કરો. દુશ્મન મોટો હોય અને તમારું બજેટ ન પહોંચતું હોય તો બીજા લોકોને મિત્રો બનાવીને સરવાળાની શક્તિ ઊભી કરો અને જો આ બેમાંથી તમે એકે ન કરી શકતા હોવ તો કાયમને માટે હારવા અને ગુલામ થવા તૈયાર રહો. મારે જે વાત કરવાની છે, તે ચોથું ઘટક, પ્રજા છે. પ્રજા જો પાણીમાં બેસી જાય તો સારામાં સારું લશ્કર પણ જીતી ન શકે. આજ કારણે પેરીસનું પતન કેમ થયું? અને અમેરિકા સામે વિયેતનામ કેમ જીત્યું અને જર્મની સામે લંડન કેમ ભાંગ્યું નહિ, તે સાંભળો. @10.26min.યુગોસ્લાવિયા ઉપર નાટોની શક્તિ તૂટી પડી પણ પ્રજા ભાગી નહીં, ઈરાકની પ્રજા પણ ભાગી નહીં. આ મહાન રાષ્ટ્રની મહાન પ્રજા છે. પણ આ મહાન પ્રજાઓ થઇ કેવી રીતે? એ કામ કવિઓ, સાહિત્યકારો, નેતાઓ કરતા હોય છે. એ કામ કલાથી, સંગીતથી અને કલાકારોથી થતી હોય છે. પ્રજા તો માટીનો પીંડ છે, કુંભારને એમાંથી જે બનાવવું હોય તે બનાવે છે. ચંદ્રગુપ્ત પાણીમાં બેસવાની તૈયારીમાં હતો અને ચાણક્યે એને બદલી નાંખ્યો. કવિઓનું કામ, સાહિત્યકારોનું કામ, સંગીતકારોનું કામ પ્રજાની અંદર જુસ્સો ભરવાનું છે. આપણાં પ્રાચીન કાળમાં, યુદ્ધકાળમાં ક્ષત્રિયોની સાથે બારોટો કેમ રહેતા? તે સાંભળો. ઈતિહાસમાં રાણા પ્રતાપ સાથે ભામાસા અમર છે તે સાંભળો.@16.06min. “લાખ મરજો પણ લાખનો તારણહાર ન મરજો” પ્રતાપે પોતાનું સર્વસ્વ ન્યોછાવર કરી દીધું. પ્રજાનું પોતાનું પણ એક વ્યક્તિત્વ હોય છે, મૂળ વ્યક્તિત્વ સ્થાયી હોય છે. મુંબઈમાં એકવાર એક સ્ટીમરમાં કંઈ થયેલું અને આખું મુંબઈ ખાલી થઇ ગયું હતું. જાપાનીઓ નાગાલેંડ સુધી પહોંચ્યા અને અહિ આખું કલકત્તા ખાલી. પ્રજાને નિશ્ચિત રીતે ઘડવાનું કામ બાકી રહી ગયું છે અને આ કામ ધર્મ કરે છે. ટાન્ઝાનિયામાં સરન્ગેટી અને ગોરનગોરો ક્રેટર (Ngorongoro Crator) વિષે સાંભળો. તમે કેટલાં છે એનું મહત્વ નથી પણ મહત્વ એનું છે કે તમારી પાસે નખ છે? દાંત છે? આક્રમણ કરતાં આવડે છે? તમે લાખો-કરોડો કમાઈ શકો છો પણ તમે તમારું રક્ષણ નથી કરી શકતા એટલે તમે રાજ્ય ન કરી શકો, તમે ટેક્ષેબલ પ્રજા છો. કરાંચીમાંથી કેમ ભાગવું પડ્યું? તે સાંભળો. બંગાળની કમ્યુનિષ્ટોએ શું હાલત કરી? ત્યાંથી ઉદ્યોગપતિઓ કેમ ભાગી રહ્યા છે? @21.35min. ગુજરાત પાસે સારામાં સારા વેપારીઓ છે પણ સારામાં સારા સેનાપતિઓ નથી. અંગ્રેજો EAST INDIA કંપની લઈને વેપાર કરવા આવ્યા પણ તેઓ એટલાજ સોલ્જરો હતા. શિવાજી મહારાજ પહેલીવાર સુરત લુંટવા આવ્યા તે પ્રસંગ સાંભળો. એક પટેલના છોકરાની વાત સાંભળો, લશ્કરમાં જોડાયો છે એટલે કોઈ કન્યા નથી આપતું. જેમની પત્નીઓ વિધવા નથી થતી એ વેપારી થાય, ખેડૂત થાય પણ રાજ ન કરી શકે, એ તો વિધવા થયેલી પત્નીઓના દીકરાઓજ રાજ કરવાના કારણકે રાજ તલવારથી થતું હોય છે. સમૃદ્ધિ ત્રાજવામાંથી આવતી હોય છે. ઇઝરાઈલ અને અંગ્રેજ પાસે તલવાર પણ છે અને ત્રાજવાં પણ છે. @25.40min. જો મારું ચાલે તો આખા ભારતમાં હું લોકોને કહું કે ભલા થાઓ, પચીસેક વરસ સુધી આ માળાને એક તરફ મૂકી તલવાર પકડો. તમે સારામાં સારા વેપારી બનો અને સાથે સાથે સારામાં સારા સૈનિક પણ બનો. પણ આ કામ કોણ કરશે? આ કામ કવિઓ, સાહિત્યકારો, કલાકારો કરશે. ગુજરાતના જે 12 શહીદો થયા તેમાં એક દલિત છે, એક રાઠોડ છે, એક વાણંદ છે વિગેરે. સુરતના રત્ન કલાકારોએ 1,80,00000 રૂપિયા આ શહીદોના કુટુંબ માટે ભેગા કર્યા છે. લશ્કરનો જનરલ કહે છે અમે આ બધા સૈનિકોને ઘડીએ છીએ. જનરલ કહે છે, હવે અમને પકડી ન રાખો, અમને છૂટ આપો, અમારે જે કરવાનું છે, તે કરવા દો. ગુરુ ગોવિંદસિંહે પંજાબને ઘડ્યું. શીખો કોણ છે? મહેતા છે, મોદી છે, ખત્રી છે, વાણીયા, વેપારીઓ છે પણ ગુરુ ગોવિંદસિંહે એમના હાથમાં તલવાર આપી અને આખી પ્રજાને બદલી નાંખી. શીખોનો સંક્ષિપ્તમાં ઈતિહાસ સાંભળો. આપણે આકાશી પ્રજા છીએ અને અમે બધા સાધુ લોકો પરલોકનીજ વાતો કરીએ છીએ કે પછી તમારો આત્મા ક્યાં જશે? આત્મા જ્યાં જવાનો હશે ત્યાં જશે પણ અહિતો, કાલુપુર ખાલી થઇ ગયું, દરિયાપુર ખાલી થઇ ગયું? શું કરશો? કાશ્મીરના પંડિતો ભાગી રહ્યા છે, તમારો આત્મા ક્યાં જશે? એ તો પછીની વાત છે, પણ આ શરીર ક્યાં જશે? હવે તમે આકાશની વાત બંધ કરી જમીન ઉપરની વાત સાંભળો. “રક્ત ટપકતી સો સો ઝોળી સમરાંગણથી આવે” કેટલી નવાઈની વાત છે કે આ લખનાર મેઘાણી જૈન વાણીયા છે. એટલે પ્રજાનું ઘડતર સાહિત્યકારો, કવિઓ, કલાકારો કરતા હોય છે. દોલતાબાદનો સુબો શિવાજીને તુચ્છ ગણતો હતો, એટલે એણે શિવાજીનો ફોટો એના સંડાસમાં રાખેલો. શિવાજીનો કવિ ભૂષણ જ્યારે આ સુબાને ત્યાં ગયો ત્યારે એણે જાણી કરીને સંડાસમાં મૂકેલો શિવાજીનો ફોટો બતાવ્યો ત્યારે ભૂષણે કવિતા રચી અને કહ્યું કે દોલતાબાદના સુબાને બંધકોષનો રોગ છે, એટલે ફોટો જોતાંની સાથેજ….કવિ એટલે કવિ એ તો રાષ્ટ્ર કવિ છે. @31.28min. એટલે પ્રજાને કેવો આકાર આપવો, કેવું રૂપ આપવું એ કામ સાહિત્યકારોનું, કવિઓનું અને કલાકારોનું છે, અને એ કામમાં ભાઈ શ્રી મહેન્દ્રભાઈએ એનો સૂર પૂરાવ્યો છે. ડોક્ટરોની અને રાજકારણના નેતાઓની સંવેદના વિષે સાંભળો. ભાઈ શ્રી મહેન્દ્રભાઈ ત્રિવેદી એ કવિ જીવ છે. ગાયક જીવ છે. કાશીમાં એક પહેલવાન સાધુની વાત સાંભળો. ભાઈ શ્રી મહેન્દ્ર ભાઈનું પણ એક ક્ષેત્ર છે. રાજકારણ અને કવિત્વ, રાજકારણ અને કલા અને રાજકારણ અને સાહિત્યકાર માટે મારો વિરોધ નથી. ગાંધીજી બધુંજ છે, સાહિત્યકાર છે, કલાકાર છે અને સંગીત સાંભળવામાં રસ છે કે જે વ્યક્તિ જુઠું બોલ્યા વગર અંગ્રેજો જોડે રાજકારણ રમી શક્યા. દુનિયાના એ અદ્વિતીય રાજકારણીય પુરુષ છે. @37.39min. ભાઈ શ્રી મહેન્દ્રભાઈએ સુંદર ગીતો સમયસરના રચ્યા છે અને સંગીત આપ્યું ગૌરાંગ વ્યાસે, એ પ્રસંશનીય છે. અવિનાશ વ્યાસ અધ્યાત્મ ક્ષેત્રનો માણસ છે પણ એમણે એવા ગીતો રચ્યા છે કે આપણે જાણે સાંભળીયાજ કરીએ, અહિયાં ગૌરાંગભાઈ પણ એજ પરંપરામાં છે. આપણાં ઘણા ગીતો શબ્દોથી સુંદર નથી હોતા પણ સંગીતથી સુંદર બનતા હોય છે. ભર્તુહરીએ લખ્યું છે કે:”संगीत साहित्य कला विहीन साक्षात् पशु: पुच्छ विषाण हिन” સંગીત સાહિત્ય વિનાનો માણસ સાક્ષાત પુંછડા અને શીંગડા વિનાનો બળદ છે. રાગ રાગણીઓનો કોઈ અંત નથી, એટલે આ ગીતોને સંગીતનો ઢાળ આપ્યો, લય આપી, સૂર આપ્યો એટલે શરીરમાં પ્રાણ પૂરી ચેતનવંતુ બનાવ્યું. ભાઈ શ્રી મહેન્દ્રભાઈને તથા ગૌરાંગભાઈને જેટલા ધન્યવાદ આપીએ એટલા ઓછા છે. યુદ્ધની તૈયારી શાંતિકાળમાં થતી હોય છે. જો તૈયારી ન કરી અને કબુતર ઉડાડ્યાં તો 1962ના યુદ્ધ જેવી દશા થાય. હું પરમેશ્વરને પ્રાર્થના કરું કે જે બધાએ આ કાર્ય કર્યું છે એ પોતપોતાના ક્ષેત્રમાં વધુને વધુ સારામાં સારી પ્રગતિ કરે, આભાર, ધન્યવાદ, હરિઓમ તત્સત. @42.04min. શિવાજી મહારાજ અને કર્તવ્યની કદર. @44.19min. कारगिल शहीद गीत.