ચાફેકર બંધુઓ

આઝાદીની વીરતાભરી લડાઈમાં એક જ ઘરના ત્રણ ત્રણ સગા ભાઈઓ ફાંસીના માંચડે લટકી ગયા હોય તેવી ઘટના ભાગ્યે જ જોવા મળી છે. પૂનાના ચાફેકર પરિવારના ત્રણ સગા ભાઈઓએ આવું ઉદાહરણ પૂરું પાડ્યું છે. દામોદર, બાળકૃષ્ણ અને વાસુદેવ આ ત્રણે હરિ ચાફેકરના સગા દીકરાઓ. બ્રાહ્મણ હોવા છતાં ત્રણેની રુચિ શસ્ત્રોમાં. શસ્ત્ર વીરતાનું પ્રતીક છે. પ્રજાને નમાલી બનાવવી હોય તો સર્વપ્રથમ તેને ગમે તે બહાને શસ્ત્રવિમુખ કરો. આપોઆપ પ્રજા નમાલી થઈ જશે. ભારતમાં ઘણા તથાકથિત ભગવાનોએ અહિંસાના નામે પ્રજાને શસ્ત્રવિમુખ કરવામાં મહત્ત્વનો ભાગ ભજવ્યો છે. શસ્ત્રવિમુખ પ્રજા આપોઆપ વીરતાવિમુખ થઈ જતી હોય છે. વીરતાવિમુખ પ્રજાને સરળતાથી ગુલામ બનાવીને તેના ઉપર જોહુકમીભર્યું શાસન કરી શકાય છે. હરિ ચાફેકર બ્રાહ્મણ હોવા છતાં શસ્ત્રપ્રેમી હતા. તેમણે પોતાના ત્રણે દીકરાઓને શસ્ત્રવિદ્યા શીખવી હતી. કદાચ તે જ કારણસર મહારાષ્ટ્ર બન્યું હશે. પૂરો દેશ રાષ્ટ્ર કહેવાય જ્યારે તેનો એક નાનો પ્રાન્ત મહારાષ્ટ્ર કહેવાતો હશે તેમાં કાંઈક કારણ તો હશે જ. કારણ મારી દૃષ્ટિએ જ્યાં બ્રાહ્મણો પણ વીર અને યોદ્ધાઓ નીપજ્યા હોય, જે માત્ર સીધાભોજી કે ચોરાશીભોજી ન રહેતાં, તેનો “વીરભોગ્યા વસુંધરા”ની સૂક્તિ પ્રમાણે પૂરી વીરતાભર્યો ઇતિહાસ રહ્યો હોય તે રાષ્ટ્ર નહિ પણ મહારાષ્ટ્ર જ કહેવાય.

દામોદર, બાળકૃષ્ણ અને વાસુદેવ ત્રણે ભાઈઓના પિતા હરિ ચાફેકર પૂનાના નિવાસી હતા. તેઓ કીર્તનકાર હતા. મહારાષ્ટ્ર એક તરફ વીરભૂમિ છે તો બીજી તરફ ભક્તભૂમિ પણ છે. વીરતા અને ભક્તિ સગી બહેનો છે. ભક્તિ વિનાની વીરતા, ક્રૂરતા બની જાય છે અને વીરતા વિનાની ભક્તિ ભિખારણ બની જાય છે. આ બન્ને તત્ત્વો એકસાથે જેનામાં પ્રગટે તે સાચો વીર અને સાચો ભક્ત બનતો હોય છે. હરિ ચાફેકર વીરતાભર્યું કથાકીર્તન કરતા એટલું જ નહિ પોતાના પુત્રોને માળા ફેરવવાની સાથે તલવાર ફેરવતાં પણ શિખવાડતા. તેમના ઘરમાં શસ્ત્ર અને શાસ્ત્રનો સુભગ મેળ થયો હતો.
(more…)