કાલાપાની

[કાલાપાની – આંદામાનની સેલ્યુલર જેલમાં રહીને જેમણે પોતાનાં જુવાની અને જીવન રાષ્ટ્ર માટે હોમી દીધાં તે બધા સાચા રાષ્ટ્રભક્તો—ક્રાન્તિવીરોને વંદન સહ અર્પણ. -સચ્ચિદાનંદ]

શાસન સરકાર ચલાવતી હોય છે અને જે નિયમોથી શાસન ચલાવવાનું હોય તે જો તોડવામાં આવે તો તોડનારને સજા થવી જોઈએ. સજા વિના વ્યવસ્થા રહી શકે નહીં.

વિશ્વની બધી સરકારોના એકસરખા નિયમો નથી હોતા, તેથી સજા પણ એકસરખી નથી હોતી. પશ્ચિમમાં નાચ-ગાન-દારૂ, વગેરે સહજ-સામાન્ય વસ્તુ કહેવાય. નિયમમાં રહીને આ બધું થાય તો કશી સજા થાય નહીં, પણ જો નિયમ બહાર જાઓ તો જ સજા થાય. આરબ દેશોમાં આ બધું સજાને પાત્ર થઈ જાય. ચોરી-વ્યભિચાર, વગેરેની સજાઓ બધે એકસરખી નથી હોતી. કેટલાક દેશોમાં ફાંસીની સજા છે જ નહીં, તો કેટલાક દેશોમાં છે. આમ, દેશકાળ અને પરિસ્થિતિ પ્રમાણે સજાઓ બદલાતી રહે છે.

ભારતમાં અંગ્રેજી રાજ્ય આવ્યું તે પહેલાં બહુ થોડા કાયદા હતા અને તરત જ સજા થઈ જતી, જેમાં કેટલીક અતિક્રૂર પણ હતી. ત્યારે વકીલો ન હતા અને ચઢતી-ઊતરતી કોર્ટો પણ ન હતી, તેથી ન્યાય થાય કે અન્યાય, ભોગવી જ લેવાનો રહેતો. ત્યારે અપરાધો ઘણા ઓછા થતા. પ્રજા ધાર્મિક હતી અને ધર્મ તથા ઈશ્વરથી ડરનારી હતી. જોકે ભારતમાં અસંખ્ય જાતિઓ હોવાથી અને સૌનું અલગ-અલગ વ્યક્તિત્વ હોવાથી કેટલીક જાતિઓને અપરાધી જાતિની કક્ષામાં મૂકવામાં આવતી, તો કેટલીક જાતિઓ અપરાધ કરે જ નહીં તેવી કક્ષામાં પણ મુકાતી, પણ અંગ્રેજી કાયદા ન્યાયના મંદિરમાં કોઈની સાથે કશો જાતિભેદ સ્વીકારતા નથી. અપરાધી બધા સરખા જ ગણાય, તેથી સજા પણ સૌને સરખી થાય. શિયળ વેચવાનો ધંધો કરનારી સ્ત્રી ઉપર બળાત્કાર થયો હોય કે શિયળને જ જીવનનું સર્વસ્વ માનનારી કોઈ પવિત્ર પતિવ્રતા ઉપર બળાત્કાર થયો હોય, ન્યાયમંદિરમાં બંને એકસરખા જ ગણાય. આવી કેટલીક વિડંબનાઓ પણ થતી રહે છે. સંપૂર્ણ શુદ્ધ અને અચૂક ન્યાય અતિ દુર્લભ કહેવાય. બધી કમજોરીઓ અને ત્રુટીઓ હોવા છતાં પણ ન્યાયતંત્ર ચાલતું રહે છે.
(more…)